સ્પીકર તરીકેનો ઓમ બિરલાનો પ્રથમ દિવસ: લોકસભામાં ઈમરજન્સીનાં 50માં વર્ષમાં પ્રવેશવાને પગલે બે મિનિટનું મૌન પળાવ્યું, યાદ કર્યા ઈમરજન્સી દરમિયાન થયેલા અત્યાચાર
- 26 Jun, 2024
લોકસભામાં બુધવારે અલગ જ નજારો જોવા મળ્યો છે. એક તરફ ઓમ બિરલાના ફરીથી લોકસભા સ્પીકર બનવા પર વિપક્ષે તેમનું સ્વાગત કર્યું છે. જોકે થોડીવારમાં જ ગેમ એકદમ વિપરિત જોવા મળી હતી. સ્પીકર ઓમ બિરલાએ તેમની પ્રથમ સ્પીચ એકદમ અલગ રીતે રજૂ કરી હતી. તેના પગલે વિપક્ષ વિચારમાં પડી ગયો હતો. ઓમ બિરલાએ 1975માં ઈન્દિરા સરકાર દ્વારા લગાવવામાં આવેલી ઈમરજન્સી પર સંસદમાં જોરદાર સ્પીચ આપી હતી. તેમણે ઈમરજન્સીને લોકશાહીના ઈતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યો હતો અને તે બદલ કોંગ્રેસને ઘેરી અને સંસદમાં બે મિનિટનું મૌન રાખ્યું હતું.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ સંસદ 1975માં ઈમરજન્સી લાગુ કરવાના નિર્ણયની નીંદા કરે છે. સાથે જ અમે તે તમામ લોકોના દ્રાઢ સંકલ્પોની પ્રશંસા કરીએ છીએ, જેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો, સંઘર્ષ કર્યો અને ભારતની લોકશાહીની રક્ષાની જવાબદારી નિભાવી હતી. ઓમ બિરલાએ આગળ કહ્યું કે 25 જૂન 1975ને ભારતના ઈતિહાસમાં હમેશાં એક કાળા અધ્યાય તરીકે મનાવવામાં આવશે. આ દિવસે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લગાવી અને બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા બંધારણ પર હુમલો કર્યો હતો. ભારત સમગ્ર દુનિયામાં લોકશાહીની માતા તરીકે ઓળખાય છે. ભારતમાં હમેશાંથી લોકશાહીના મુલ્યો અને વાદ-વિવાદનું સમર્થન કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે લોકશાહીના મુલ્યોની હમેશા રક્ષા કરવામાં આવી છે, તેમને હમેશાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આવા ભારત પર ઈન્દિરા ગાંધી દ્વારા તાનાશાહી થોપી ગઈ. ભારતમાં લોકશાહીના મુલ્યોને કચડી નાંખવામાં આવ્યા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગશું દબાવી દેવામાં આવ્યું હતું. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ઈમરજન્સી દરમિયાન ભારતના નાગરિકોના અધિકારને નષ્ટ કરી નાંખવામાં આવ્યા, સમગ્ર આઝાદીને છીનવી લેવામાં આવી. આ સિવાય વિપક્ષના નેતાઓને આ ગાળા દરમિયાન જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર દેશ જેલ બની ગયો હતો. ત્યારની તાનાશાહી સરકારે મીડિયા પર પણ અનેક પ્રતિબંધો લગાવ્યા હતા. ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવ્યો હતો. ઈમરજન્સીનો તે સમય આપણા દેશના ઈતિહાસમાં અન્યાયકાળનો એક કાળો ખંડ હતો. ઈમરજન્સી લગાવ્યા પછી કોંગ્રેસ સરકારે કેટલાક એવા નિર્ણય કર્યા, જેણે આપણા બંધારણની ભાવનાઓને કચડી નાંખવાનું કામ કર્યું.
ઓમ બિરલાએ આગળ કહ્યું કે આંતરિક સુરક્ષા અધિનિયમમાં ફેરફાર કરીને કોંગ્રેસ પાર્ટીએ સુનિશ્ચિત કર્યું કે અમારી કોર્ટ ધરપકડ કરવામાં આવેલા લોકોને ન્યાય નહીં આપી શકે. મીડિયાને સાચુ લખવાથી રોકવા માટે અધિનિયમ લાવવામાં આવ્યા. આ જ કાળા ખંડમાં બંધારણમાં 38મો, 39મો, 40મો, 41મો અને 42માં સંવિધાનમાં સંશોધન કરવામાં આવ્યું. તેનો ઉદેશ્ય એવો હતો કે તમામ શક્તિઓ એક વ્યક્તિની પાસે જ આવી જાય. તેમણે આગળ કહ્યું કે કોંગ્રેસે લોકશાહીના સિદ્ધાંત પર આધાત કર્યો છે. ઈમરજન્સી દરમિયાન લોકોએ જબરજસ્તીપૂર્વક લાદવામાં આવેલી નસબંધીના પ્રહારને પણ ઝીલવો પડ્યો હતો. આ સંસદ તે તમામ લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરવા માંગે છે. ઈમરજન્સીનો કાળો સમયગાળો આપણને એ વાતની યાદ અપાવે છે કે તે સમયે આપણી પર કેવો હુમલો કરવામાં આવ્યો હતો. હાલ દેશ ઈમરજન્સીના 50માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે. આ 18મી લોકસભા આપણી કટિબદ્ધતાને દર્શાવે છે.